ભાજપે 3 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, રાદડિયા પરિવારનું પત્તુ કપાયું

ભારે મનોમંથન બાદ ભાજપે ગુજરાતની વધુ ત્રણ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. બનાસકાંઠામાં પરબત પટેલને, પોરબંદરમાં રમેશ ધંડુક અને પંચમહાલમાં રતન સિંહને ટિકીટ આપવામાં આવી છે. ભાજપે ત્રણેય બેઠક પર નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. કહેવાય છે કે, સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને ભાજપે આ ત્રણ નામો પર પસંદગી ઉતારી છે. 

ભાજપે 3 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, રાદડિયા પરિવારનું પત્તુ કપાયું

હિતેન વિઠલાણી/ગાંધીનગર : ભારે મનોમંથન બાદ ભાજપે ગુજરાતની વધુ ત્રણ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. બનાસકાંઠામાં પરબત પટેલને, પોરબંદરમાં રમેશ ધંડુક અને પંચમહાલમાં રતન સિંહને ટિકીટ આપવામાં આવી છે. ભાજપે ત્રણેય બેઠક પર નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. કહેવાય છે કે, સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને ભાજપે આ ત્રણ નામો પર પસંદગી ઉતારી છે. આમ આ ત્રણેય બેઠકો પર સિટીંગ સાંસદની રિપિટ કર્યા નથી. 

કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીનું પત્ત કપાયું 
આ ત્રણ બેઠકો પર ટિકીટ ફાળવણીનો પેચ ફસાયો હતો, કારણ કે નવા ચહેરાને સ્થાન આપવાનું હતું. ટિકીટ ફાળવણી મુદ્દે ભાજપમાં આંતરિક વિખવાદ અને ડેમેજ કન્ટ્રોલને ખાળવા માટે ચૂંટણી પ્રભાર ઓમ માથુર પ્રયાસો કરી રહ્યા હતા. ત્યારે ત્રણેય બેઠકો પર નવા ચહેરાને સ્થાન આપીને ભાજપે નવો દાવ ખેલ્યો છે. પાર્ટીએ આ ત્રણ નામોની જાહેરાત કરીને સ્થાનિક નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો છે. પરબત પટેલ રાજ્ય કક્ષાના મંત્રી છે અને ચૌધરી સમાજ પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. ત્યારે ભાજપે કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીનું જ પત્તુ કાપ્યું છે. ભાજપે બનાસકાંઠા માટે સૌમ્ય અને શાંત ચહેરો ધરાવતા પરબત પટેલ પર પસંદગી ઉતારી છે. 

પંચમહાલમાં નવો ચહેરા લાવ્યા
પંચમહાલમાં પ્રભાતસિંહ ચૌહાણ અનેક દાવા કર્યા હતા કે, તેમને ટિકીટ મળશે. પરંતુ તેમના આ દાવાને નકારીને પક્ષે તેમની ટિકીટ કાપી છે. તેમણે દાવા કર્યા હતા કે મારી ટીકિટ નહિ કપાય. પણ તેમની ટિકીટ કપાઈ છે. પ્રભાત સિંહનો દબંગ સ્વભાવ રહ્યો છે. તેમણે ટિકીટ મેળવવા માટે દિલ્હીના પણ આંટાફેરા કર્યા હતા. હવે તેઓ શુ પગલુ ભરશે તે જોવુ રહ્યું. તેઓ અપક્ષ દાવેદારી પણ કરે તેવી શક્યતા છે.તો બીજી તરફ, પંચમહાલ પર સી.કે રાઉલજીનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું. તો બીજી તરફ, રતન સિંહ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. સ્થાનિક સ્તરેથી જ આ નામની પસંદગી કરાઈ છે. 

રાદડિયા પરિવારમાંથી કોઈને ટિકીટ ન અપાઈ
રાદડિયા પરિવારના દબાણ સામે ભાજપ ઝૂક્યું નથી. પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમનુ ચૂંટણી લડવું અશક્ય હતુ. પણ રાદડિયા પરિવારમાં અન્ય કોઈને ટિકીટ ફાળવાઈ નથી. પોરબંદર રાદડિયા પરિવારનો ગઢ કહેવાય છે, ત્યારે હવે પોરબંદરવાસીઓ રમેશ ધંડુકને જીતાવશે કે નહિ તે જોવુ રહ્યું. રમેશ ધંડુક પોરબંદર માટે જૂનો અને જાણીતો ચહેરો છે. પક્ષનુ માનવુ હતું કે, જયેશ રાદડિયા ચૂંટણી લડે, પણ પક્ષે તે માટે ના પાડી હતી. તેથી ભાજપે રમેશ ધંડુક પર પસંદગી ઉતારી. કારણ કે, 2009ની ચૂંટણીમાં રમેશ ધંડુક વિઠ્ઠલ રાદડિયા સામે લડ્યા હતા. ત્યારે વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. 

બાકીની 7 બેઠક પર હજી નામ જાહેર થવાના બાકી છે. આવતીકાલ સુધીમાં આ ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે તેવી શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news