અમદાવાદ : શ્રેય હોસ્પિટલ આગકાંડમાં તપાસપંચની રચના કરાઈ

ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા તપાસ અહેવાલના આધારે કોઈ પણ પ્રકારની ન્યાયિક બાબત છૂટી ન જાય કે કોઈ પણ કસૂરવાર છટકી ન જાય, તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી આ સરકાર કટિબદ્ધ છે

અમદાવાદ : શ્રેય હોસ્પિટલ આગકાંડમાં તપાસપંચની રચના કરાઈ

ઝી મીડિયા/અમદાવાદ :અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey hospital) માં ગત 6 ઑગસ્ટની મધરાતે લાગેલી આગની ઘટનામાં કમનસીબે કોરોનાના 8 દર્દીઓના મૃત્યુ થયાં હતાં. આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજ ની અધ્યક્ષતામાં તપાસપંચની રચના કરવામાં આવી છે. આ માહિતી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ તપાસપંચ ત્રણ માસમાં રાજ્ય સરકાર સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની સમગ્ર ઘટનાની ત્વરિત તપાસ માટે ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્યસચિવ મુકેશ પુરીની તપાસ સમિતિ નિયુક્ત કરવામાં આવી હતી. આ બંને વરિષ્ઠ અધિક મુખ્ય સચિવોએ તેમની તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરી દીધો છે.

ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા તપાસ અહેવાલના આધારે કોઈ પણ પ્રકારની ન્યાયિક બાબત છૂટી ન જાય કે કોઈ પણ કસૂરવાર છટકી ન જાય, તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી આ સરકાર કટિબદ્ધ છે. પરિણામે, સમગ્ર ઘટનાની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ અનિવાર્ય છે. જેના અનુસંધાને, હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિશન ઑફ ઇન્ક્વાયરી એક્ટ, 1952 હેઠળ તપાસ પંચની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષપદે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજ ની નિમણૂક કરવામાં આવી છે. આ તપા સપંચનું હેડક્વાર્ટર અમદાવાદ રહેશે અને પંચે ત્રણ માસમાં પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવાનો રહેશે. 

કોંગ્રેસના ધારાસભ્યના સંબંધીની ભડકાઉ પોસ્ટથી બેંગલુરુમાં ભડકી હિંસા, 60 પોલીસ કર્મચારી ઘાયલ

તો બીજી તરફ, શ્રેય હોસ્પિટલ આગકાંડની ઘટનાના ચાર દિવસ બાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદમાં હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત સામે ગુનો દાખલ કર્યો છે. મહત્વનું છે કે FSL ના રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે જે સમયે આગ લાગી તે આઈ.સી.સી.યુ વોર્ડમાં ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલી દીવાલોમાં લાગેલી બારીઓ સ્ક્રુથી ફીટ કરવામાં આવેલી હોવાથી ધૂમાડો બહાર ન નીકળી શક્યો હોવાથી દર્દીઓના ગૂંગળાઈને મોત થયા હતા. તેમજ હોસ્પિટલમાં ફાયર noc પણ ન હોવાના કારણે ફાયર ઓડિટ પણ થઈ શક્યું ન હતું. તેમજ જે વોર્ડમાં આગ લાગી ત્યાં ફાયર એલાર્મ પણ ન હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે શ્રેય હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત સામે બેદરકારીનો ગુનો દાખલ કરી તેમની ધરપકડની તજવીજ હાથ ધરી છે. નવરંગપુરા પોલીસે IPCની કલમ ૩૩૬ ૩૩૭ ૩૩૮ અને ૩૦૪ (અ) મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news